![]()
રાજકોટના આહિર ચોક પાસે રહેતી 18 વર્ષની યુવતીએ વહેલી સવારે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે બાદ ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસ પૂછપરછમાં યુવતીએ જણાવ્યું હતું કે, તેના પરિવારમાં માતા, એક ભાઈ અને એક નાની બહેન છે. ઇન્સ્ટાગ્રામ મારફત ઓમ નામના યુવકનો સંપર્ક થયો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન યુવકે લગ્નની લાલચ આપી હતી જેથી યુવતી ડિમાર્ટ પાછળ આવેલા વિસ્તારમાં ભાડે રાખેલા મકાનમાં યુવક સાથે રહેવા ગઈ હતી. આશરે 8 મહિના બંને સાથે રહ્યા હતા. દરમિયાન બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા 15 દિવસ પહેલા ઘરમાંથી કાઢી મૂકી હતી અને લગ્ન કરવાની પણ ના પાડી દીધી હતી. હાલ પોલીસે યુવતીનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કામ બાબતે મોટા બાપુએ ઠપકો આપતા વેપારીનો આપઘાત
કિશન પ્રવીણભાઈ નડીયાપરા (ઉં.વ.31) ગઈકાલે બપોરે 1 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો, ત્યારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો દ્વારા તેને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગેની જાણ બી ડિવિઝન પોલીસને કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે કિશન બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો તેને સંતાનમાં ત્રણ વર્ષની દીકરી છે, તેમના સંયુક્ત કુટુંબની અંબિકા ફરસાણ નામની દુકાન શહેરના પારેવડી ચોકમાં આવેલી છે ત્યાં બેસી કિશન વેપાર ધંધો કરતો હતો. ગઈકાલે દુકાને તેમના મોટા બાપુએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેનું લાગી આવતા કિશન ઘરે ગયો હતો અને આ પગલું ભરી લીધું હતું. હાલ ત્રણ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. પૈસાની લેતીદેતીમાં ચાંદીના વેપારીનો ઝેરી દવા પી આપઘાત
હિતેશભાઈ નાનજીભાઈ ગજેરા (ઉં.વ.53)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને તત્કાલ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પ્રૌઢએ પૈસાની લેતીદેતીમાં આ પગલું ભરી લીધું હોવાનું અનુમાન લગાવવા આવી રહ્યું છે. હાર્ટ એટેકથી 37 વર્ષીય સોની વેપારીનું મોત
માધવભાઈ પ્રવીણભાઈ ધોરડા (ઉં.વ.37) ગઈકાલે રાત્રે 1 વાગ્યે પોતાના ઘરે હતા, ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા બેભાન થઈ ગયા હતા, જેથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડતા તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. માધવભાઈને ગુંદાવાડી હોસ્પિટલની પાસે માધવ જવેલર્સ નામની દુકાન છે. ત્યાં તેઓ વેપાર કરતા હતા. પોતે ચાર બહેનના એકના એક ભાઈ હતા અને તેમને સંતાનમાં એક દીકરી છે, પરંતુ છૂટાછેડા થઈ જતા દીકરી માતા સાથે રહે છે. બનાવ અંગે જાણ કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જેના પ્રાથમિક રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. પોપટપરામાં બાઈક પાછળથી પડી જતા મહિલાનું મોત
રાજકોટના રેલનગરના આસ્થા ચોકમાં રહેતા અંજનાબેન દીપકભાઈ વાઘેલા (ઉં.વ.52) ગઈકાલે રાત્રે ઘરે હતા, ત્યારે તબિયત બરાબર ન હોવાથી પતિ દીપકભાઈના બાઇકમાં બેસી દવાખાને જતા હતા. પોપટપરામાં ભારત પાન પાસે પહોંચતા અચાનક ચક્કર આવતા અંજનાબેન બાઈક ઉપરથી પડી ગયા તેમને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. તેમના પતિ રાજકોટ મનપામા સફાઈ કામદાર તરીકે કામ કરે છે. ગઈકાલે રાત્રે અંજનાબેનને એકદમ ગભરામણ થવા લાગી હતી અને બ્લડપ્રેશર લો થઈ ગયું હોય તેમ લાગતા દવાખાને જતા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો.








