ચમત્કાર નહીં, કાયદો ચાલશે!”ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોલીસ કાર્યવાહી માટે 15 નાગરિકોની માંગ
ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરના રાજકોટમાં યોજાનારા કાર્યક્રમો પહેલાં વિવાદ ગરમાયો છે. અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનના 15 નાગરિકોએ ગુજરાતના DGP, રાજકોટ પોલીસ કમિશનર અને SPને લેખિત અરજી કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીના કહેવાતા “ચમત્કારો” પર કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ચમત્કારોના નામે અંધશ્રદ્ધા ફેલાવવી, લોકોમાં ભય અને ભ્રમ ઉભો કરવો તથા વૈજ્ઞાનિક અભિગમથી દૂર લઈ જવું બંધારણીય ભાવનાનો ભંગ છે. સાથે જ ગુજરાતના “માનવ બલિ અને કાળા જાદુ વિરોધી અધિનિયમ-2024” હેઠળ આવા દાવાઓ ગુનાહિત કૃત્ય બની શકે હોવાનું પણ જણાવાયું છે.
અરજદારોની મુખ્ય માંગ છે કે રાજકોટમાં યોજાનારા તમામ કાર્યક્રમોનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે અને જો કોઈ ચમત્કારિક દાવા કે પ્રદર્શન થાય તો પોલીસ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કાયદેસરની કાર્યવાહી કરે.
આ અરજી બાદ હવે સૌની નજર પોલીસ તંત્રના આગામી પગલાં અને રાજકોટમાં યોજાનારા બાબા બાગેશ્વરના કાર્યક્રમો પર ટકેલી છે.








